પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે LPGને લઈને કેટલાક લોકો જાણીજોઈને ડર ફેલાવી રહ્યા છે અને તેનાથી ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આવા લોકો પોતાનો એજન્ડા ચલાવવા માંગે છે, પરંતુ સંકટના સમયે આ પ્રકારનું વાતાવરણ દેશ માટે નુકસાનકારક હોય છે.
પ્રધાનમંત્રીએ ચેતવણી આપી કે LPGની કાળાબજારી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સરકાર એ સુનિશ્ચિત કરશે કે સામાન્ય લોકોને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય.
પ્રધાનમંત્રી ગુરુવારે દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત NXT સમિટમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ પડકારજનક છે અને યુદ્ધને કારણે વિશ્વભરમાં ઉર્જા સંકટની સ્થિતિ સર્જાઈ છે.
પ્રધાનમંત્રીએ કોરોના મહામારીનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે આખો દેશ એકજુટ થઈને કામ કરે છે, ત્યારે મોટામાં મોટી મુશ્કેલી પણ સરળ બની જાય છે. તેમણે કહ્યું કે આજે દેશ સામે એક વધુ પડકાર છે અને તેને પણ આપણે સાથે મળીને જ પાર કરવો પડશે.