ઈન્ડિયન ટીમના બેટર રિંકુ સિંહ મંગળવારે ચેન્નઈથી ઘરે અલીગઢ પરત ફર્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સૂત્રોના હવાલેથી જણાવ્યું કે પરિવારમાં મેડિકલ ઇમરજન્સીના કારણે રિંકુને ઘરે પરત ફરવું પડ્યું.
એજન્સી અનુસાર, રિંકુના પિતા ખાનચંદ સિંહ નોઇડાની હોસ્પિટલમાં દાખલ છે. તેમની હાલત ગંભીર છે. ભારતને હવે 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે મેચ રમવાની છે. પરંતુ, આ મેચમાં રિંકુનું રમવું હવે નિશ્ચિત નથી.
ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહને ચોથા તબક્કાનું લિવર કેન્સર છે. તેમની તબિયત અચાનક બગડ્યા બાદ પરિવારજનો તેમને ગ્રેટર નોઇડાના સેક્ટર ઓમેગા વન સ્થિત યથાર્થ હોસ્પિટલ લઈ ગયા. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે.
હોસ્પિટલના જણાવ્યા અનુસાર, ખાનચંદ સિંહની હાલત ગંભીર હોવાને કારણે તાત્કાલિક સારવારની જરૂર હતી. તેમને ICUમાં રાખ્યા છે. ડોકટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.
પિતાની તબિયત બગડ્યાના સમાચાર મળતા જ રિંકુ સિંહ સવારે લગભગ 10 વાગ્યે હોસ્પિટલ પહોંચ્યો. તેણે પોતાના પિતાના ખબરઅંતર પૂછ્યા અને ડોકટરો પાસેથી સારવાર વિશે પૂછ્યું. રિંકુએ પિતા સાથે ઘણા કલાકો વિતાવ્યા.