નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટનો સાર શું છે, તેના વિશે જામનગર સ્થિત અર્થશાસ્ત્રના એક્સપર્ટ, ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટના ફાઉન્ડર અને સેબી સજીસ્ટર્ડ સ્ટોક માર્કેટ એક્સપર્ટ નિખિલ ભટ્ટે બજેટ-2026ના બજેટનો સાર રજૂ કર્યો છે. નિખિલ ભટ્ટે કહ્યું કે, બજેટની અપેક્ષાઓ દરેક લોકોને હોય છે. નિર્મલા સીતારમણે આર્થિક વિકાસ જાળવી રાખવા અને યુએસ ટેરિફ જેવા આર્થિક તણાવથી અર્થતંત્રને બચાવવા માટે બજેટ રજૂ થયું. સ્થાનિક અને વૈશ્વિક તણાવ વચ્ચે વાસ્તવિકતાથી દૂર એટલે કે દૂરદર્શી અભિગમ ધરાવતું બજેટ ગણી શકાય. જેમાં ટૂંકાગાળાની અપેક્ષા નિરાશા સાથે, લાંબા ગાળાની દિશા બની ગઈ. બજેટ રજૂ થયું ત્યારે ભારતીય શેરબજારમાં ભારે ઉતાવ ચડાવ જોવા મળ્યા. એ દર્શાવે છે કે બજેટથી રોકાણકારોની અપેક્ષા સંપૂર્ણરીતે સંતોષાઈ નથી. સેન્સેક્સ એક સમયે 2300થી 2500 પોઈન્ટ અને નિફ્ટીમાં અંદાજે 600 પોઈન્ટ ઘટીને થોડી રિકવરી જોવા મળી. બીજું, ઈન્કમટેક્સના ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન કરાતાં મધ્યમવર્ગ માટે મોટી નિરાશા જાહેર થઈ. મોંઘવારી અને ખર્ચ વધવા છતાં ટેક્સમાં રાહત ન મળવી એ રોકાણકારો માટે મોટો ફટકો ગણી શકાય. કસ્ટમ ડ્યુટીમાં રાહત એટલે ઉદ્યોગોનો પ્રોત્સાહન બજેટમાં અપાયું છે. કેન્સરની 17 જેટલી દવાઓના ભાવમાં રાહત, સેઝમાં બનેલો માલ, સંરક્ષણ અને વિમાન રિપેરિંગના કાચા માલ પર ડ્યુટીમાં રાહત આપવી, હેલ્થકેર, ડિફેન્સ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે સકારાત્મક પગલાં ગણી શકાય. આ ઉપરાંત ટેક્સટાઈલ ક્ષેત્રમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે. નિખિલ ભટ્ટે આગળ કહ્યું કે, રાષ્ટ્રીય ફાયબર યોજના, ટેક્સટાઈલ રોજગાર યોજના, રાષ્ટ્રીય હસ્તકલા કાર્યક્રમ વગેરે દ્વારા ટેક્સટાઈલ ઉદ્યોગને મજબૂત કરવાની દિશામાં સરકારના આ પગલાંથી ગ્રામીણ રોજગાર એક્સપોર્ટમાં વધારો થવાની શક્યતા છે.