ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે 18 વર્ષની લાંબી વાતચીત બાદ મંગળવારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) થઈ ગયો છે. ભારત અને યુરોપિયન યુનિયનના નેતાઓએ મંગળવારે 16મી ભારત-EU સમિટ દરમિયાન આની જાહેરાત કરી હતી.
ન્યૂઝ એજન્સી PTI મુજબ, આ સમજૂતીને 2027માં લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. આ ડીલ બાદ ભારતમાં યુરોપિયન કારો જેવી કે BMW, મર્સિડીઝ પર લાગતા ટેક્સને 110%થી ઘટાડીને 10% કરી દેવામાં આવશે.
આ સિવાય ભારતમાં યુરોપથી આવતા આલ્કોહોલ અને વાઇન પર ટેક્સ ઓછો થઈ શકે છે. યુરોપિયન દેશોના દારૂ પર અત્યારે 150% ટેરિફ લાગે છે, જેને ઘટાડીને 20–30% કરવામાં આવશે.
ભારત દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જ્યારે EU બીજી સૌથી મોટી. બંને મળીને વૈશ્વિક GDPનો લગભગ 25% અને દુનિયાના કુલ વેપારનો અંદાજે ત્રીજો ભાગ (એક-તૃતીયાંશ) હિસ્સો ધરાવે છે.
ભારત-યુરોપિયન ફ્રી-ટ્રેડ એગ્રીમેન્ટ પર PM મોદીએ કહ્યું કે 27 જાન્યુઆરીએ ભારતે યુરોપના 27 દેશો સાથે આ FTA સાઈન કર્યો છે. આનાથી રોકાણને વેગ મળશે, નવી ઇનોવેશન ભાગીદારી બનશે અને વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન મજબૂત થશે. આ માત્ર એક વેપાર સમજૂતી નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિનો રોડમેપ છે.
વડાપ્રધાને જણાવ્યું કે આ સમજૂતી હેઠળ ભારત અને યુરોપિયન યુનિયન મળીને ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોરને આગળ વધારશે. તેમણે કહ્યું કે અત્યારે દુનિયામાં વૈશ્વિક વ્યવસ્થાને લઈને ઉથલપાથલ છે, એવામાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારો ખૂબ જ જરૂરી બની ગયો છે.
ત્યારબાદ PM મોદીએ ઈન્ડિયા-EU બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે આજે દુનિયામાં વેપાર ટેકનોલોજી અને રેર મિનરલ્સને હથિયાર બનાવીને તેનો ઉપયોગ દબાણ લાવવા માટે કરવામાં આવી રહ્યો છે, તેથી ભારત અને EUએ મળીને પોતાની નિર્ભરતા ઘટાડવી જોઈએ.