સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે 589 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 529 ગામડાઓમા લાઇટ આવી ગઈ છે. જ્યારે 60 ગામોમાં અંધારપટ છે. જોકે PGVCL દ્વારા અમરેલી ખાતે કેમ્પ રાખી ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી ચાલુ છે.
PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેઘરાજાની મહેર રહી છે. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પુષ્કળ વરસાદ પડ્યો છે જેમાં ખાસ કરીને માંગરોળ, રાજુલા, ધારી, અમરેલી, ઉના અને ગીર ગઢડામાં ભારે વરસાદના કારણે 589 ગામડાઓમાં વિજળી ગૂલ થઈ ગઈ છે.
60 ગામોમાં વીજ પુરવઠો બાકી જેથી 60 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને આખી રાત ચીફ એન્જિનિયર તેમજ ટેકનિકલ સ્ટાફ દ્વારા અમરેલીમાં કેમ્પ કરવામાં આવ્યો છે. આજે બપોરે 11 વાગ્યા સુધીમાં 529 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો છે. 60 ગામોમાં વીજ પુરવઠો બાકી છે. જે અંદાજિત 4 વાગ્યા સુધીમાં થઈ જશે. 27 ટ્રાન્સફોર્મરો અને 344 ફીડરોને અસર પહોંચી છે.
લાઈટ જાય ત્યારે રિપેરિંગનું કામ જાતે ન કરો તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ત્યાં ડી વોટરિંગથી દૂર કરવામાં આવી રહ્યા છે. વરસાદી પાણી ઉતરે તે સાથે જ લોકોને વીજ પુરવઠો પૂર્વવત મળી રહે તે માટે અમારી ટીમ તૈયાર છે. ફીડરો, પોલ અને ટ્રાન્સફોર્મર વહેલી તકે રિપેર થઈ જશે. લોકોને અપીલ છે કે ચોમાસા દરમિયાન વરસાદને કારણે લાઈટ જાય ત્યારે રિપેરિંગનું કામ જાતે ન કરે પરંતુ PGVCLમાં જાણ કરે અને વીજ કર્મચારીઓને પણ પૂરતા સાધનો તેમજ સેફ્ટી સાથે વીજ પ્રવાહ ચાલુ કરે તેવી સૂચના છે.