રાજકોટ સહિત રાજ્યભરમાં SIR એટલે કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત એક મહિનો અને 12 દિવસ સુધી એન્યુમરેશન ફોર્મ આધારે મેપિંગ અને ડિજિટાઇઝેશન બાદ મંગળવારે જિલ્લાના રોલ ઓબ્ઝર્વર રાહુલ ગુપ્તાની વર્ચ્યુલ હાજરીમાં તમામ માન્ય રાજકીયપક્ષો સાથે બેઠક યોજી રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા SIR બાદ તૈયાર કરવામાં આવેલ મતદારયાદી લોક કરી દેવામાં આવી છે.
SIR પ્રક્રિયા દરમિયાન 3,35,670 મતદાર મૃત, સ્થળાંતરિત અને ગેરહાજર કેટેગરી ઉપરાંત બેવડી જગ્યાએ નોંધાયેલ હોવાનું સામે આવતા આવા તમામ નામો પર કાતર ફેરવી દઈ આગામી તા.19ના રોજ SIR બાદની નવી મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે.નોંધનીય છે કે, જિલ્લાના 2,25,329 મતદાર વર્ષ 2002ની તુલનાએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા ન હોવાથી આવા મતદારો લટકતી તલવાર જેવી સ્થિતિમાં છે. જો આવા અનમેપ મતદાર પોતાની ઓળખ પ્રસ્થાપિત નહીં કરે તો તેમના નામ પણ રદ થઇ શકે છે.
ચૂંટણી પંચના આદેશ બાદ ગુજરાત સહિત દેશના 12 રાજ્યમાં મતદારયાદીની સઘન સુધારણા માટે SIR અમલી બનાવવામાં આવતા રાજકોટ જિલ્લામાં તા.4 નવેમ્બરથી ચૂંટણી તંત્ર દ્વારા મતદારોનો બીએલઓ મારફતે ડોર ટુ ડોર સંપર્ક કરી એન્યુમરેશન ફોર્મ એટલે કે, ગણતરીપત્રક ભરાવવામાં આવ્યા હતા. SIR દરમિયાન સતત 42 દિવસની કાર્યવાહીના અંતે મંગળવારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.ઓમ પ્રકાશે જિલ્લાના રોલ ઓબ્ઝર્વર રાહુલ ગુપ્તાની હાજરીમાં તમામ રાજકીયપક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી SIRની કામગીરીની વિગતો પૂરી પાડી મતદારયાદી લોક કરી હતી.