ગાંધીગ્રામ પોલીસ મથકની ઘરફોડ ચોરીના ગુનામાં 14 માસથી ફરાર પાટણના રીઢા તસ્કરને એલસીબી ઝોન-2 ટીમે ગાંધીધામથી પકડી લીધો હતો. રાજકોટ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, પાટણમાં દોઢ ડઝન ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ તસ્કરને દબોચી ગાંધીગ્રામ પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. એલસીબી ઝોન-2 ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હતી. તે દરમિયાન ટીમને મળેલી બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં 14 મહિનાથી ફરાર રીઢા તસ્કર કિશોર માવજીભાઈ વારૈયા (રહે. વારાહી ગામ, પાટણ)ને કચ્છના ગાંધીધામ ખાતેથી ઝડપી પાડી ગાંધીગ્રામ પોલીસના હવાલે કરાયો હતો. ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ રાજકોટ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, કચ્છમાં ચોરી સહિતના 17 ગુના નોંધાઈ ચુક્યાનું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે.
ખાનગી ટ્રાવેલ્સ પર પથ્થરમારા મામલે ગૂનો દાખલ આજીડેમ ચોકડી નજીક વધુ એક ખાનગી ટ્રાવેલ્સની બસ પર પથ્થરમારો કરી કાચ ફોડી નાંખ્યા હતાં. પથ્થરનો ઘા વાગતા ચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો. જે મામલે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. બનાવ અંગે જૂનાગઢના ડુંગરપુર ગામના વતની 23 વર્ષીય યુવાન રાહુલ ભીખાભાઈ ધાધલે આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે બિલખા ખાતે આવેલ સંજયભાઈ જેબલીયાની રામનાથ ટ્રાવેલ્સની બસ નં. જીજે-03-બીવી-4524 છેલ્લા બે વર્ષથી ચલાવે છે. આ ટ્રાવેલ્સ બીલખાથી વાયા રાજકોટ થઈ સુરત રૂટમા ચાલે છે.
ગત તા. 3ના સાંજના 7 વાગ્યે બસ ચલાવી બીલખાથી સુરત જવા માટે નીકળ્યો હતો. તેમની સાથે કંડકટર તરીકે ભાવીકભાઈ ખુમાણ હતા. આ બસમાં આશરે 35 જેટલા પેસેન્જર બેસેલ હતા. બસ રાજકોટ ખાતે રાત્રીના 11 વાગ્યાની આસપાસ કોઠારીયા રીંગરોડ, હુડકો ચોકડી અને આજીડેમ ચોકડીનો પુલ ચડતા અચાનક રોડ ઉપર એક પથ્થરનો કોઈએ ઘા કરતા બસની આગળનો મેઈન કાચ ફૂટી ગયો હતો. જે પથ્થર હાથની કોણીમા વાગતા મુંઢ ઈજા થઈ હતી. જેથી આજીડેમ પોલીસે પથ્થરમારો કરી રૂ. 12,500 ની કિંમતનો કાચ ફોડી નાખનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.