રાજકોટના બિનય પરસાણા નામના રહીશે એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ગંભીર અગવડતા ભોગવવી પડી હતી આથી ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી. જેની સુનાવણી થઇ જતા ગ્રાહક અદાલતે એર ઇન્ડિયાને દંડ તથા ખર્ચ સહિત રૂ.1 લાખ 6 ટકા વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટના બિનય પરસાણાએ રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટથી કેનેડાના ટોરોન્ટો જવા-આવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી. 14 કલાકની લાંબી મુસાફરી દરમિયાન તેમને અત્યંત નબળી સીટિંગ વ્યવસ્થા, અયોગ્ય સીટની ગોઠવણી, નબળી રિકલાઇનર અને એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમનો સામનો કરવો પડ્યો હતો.
આ તમામ સુવિધા મુદ્દે બિનય પરસાણાએ વકીલ મારફત એર ઇન્ડિયાને નોટિસ ફટકારી હતી અને ત્યારબાદ પોતાના વકીલ ચિરાગ છગ અને સ્મિત પારેખ મારફત એર ઇન્ડિયા સામે ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી.