હાલ પોપટલાખા સોરઠીયા હત્યા કેસમાં જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને રાજકોટ સિવિલમાં લઈ આવવામાં આવ્યા હતા. તેમને હ્રદય સંબંધિત તકલીફ હોવાથી મેડિકલ ચેકઅપ કરાયું હતું. ત્યાર બાદ તેમને ફરી જુનાગઢ જેલમાં લઈ જવાયા હતા.
રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આજે (18 સપ્ટેમ્બર) પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરવાના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટમાંથી રાહત આપવામાં આવી હતી. જો કે 24 કલાકમાં જ આ રાહત પાછી ખેંચી લેવાઈ હતી. ત્યાર બાદ અનિરુદ્ધસિંહને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
2018માં તત્કાલીન જેલ આઇજી બિષ્ટે સજા માફી આપી 1988ના પોપટ લાખા સોરઠિયા હત્યાકેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે 1994માં અનિરુદ્ધસિંહને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો હતો. ત્યાર બાદ સરકારે TADA એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 1997ના રોજ અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારી હતી, જોકે ત્યાર બાદ 3 વર્ષે પોલીસ તેને પકડી શકી એટલે કે 2000માં જેલમાં મોકલી દીધો. અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ 29 જાન્યુઆરી 2018ના રોજ તત્કાલીન જેલ આઈજી ટી.એસ બિષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. એ સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી. આમ, અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજામાફી આપીને મુક્ત કરવામાં આવ્યો હતો. અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજામાફીને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી.