રાજકોટમાં દિવાળીનાં તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા આગની ઘટનાઓને તાત્કાલિક નિયંત્રણમાં લેવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ધનતેરસથી બેસતા વર્ષના સવાર સુધી સમગ્ર સ્ટાફ 24 કલાક ખડેપગે ફરજ પર રહેશે.
મનપાનાં ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઝાલાએ જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન લોકોની અવરજવર વધવાથી અને ફટાકડા ફોડવાના કારણે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે. આથી, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને બને તો તેને ઝડપથી કાબૂમાં લઈ શકાય તે માટે ફાયર વિભાગે પૂરતી વ્યવસ્થા કરી છે. જેમાં 5 હંગામી ફાયર સ્ટેશન ઊભા કરાયા છે. તેમજ 445 કર્મચારીઓનો કાફલો નવા વર્ષની સવાર સુધી ખડેપગે રાખવામાં આવશે.