ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે નવું મંત્રીમંડળ સવારે 11:30 કલાકે શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. તો બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્ટેજ પર મંત્રીઓના બેસવાથી લઈને હાજર તમામ લોકો માટેની સીટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, મોડી રાત સુધીમાં નવા મંત્રીમંડળમાં પંસદગી પામેલા નેતાઓને ફોન કરીને જાણ કરવામાં આવી શકે છે.
ગઈકાલ મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાતને છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. જોકે, આ મુલાકાત આજે સવારે 9 વાગ્યે કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. રાજીનામું આપનાર 4 કે 5 મંત્રીઓ રિપીટ થઈ શકે છે. તેમાંથી કેટલાકને પ્રમોશન તો કેટલાકના ખાતા બદલાઈ શકે છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, છેલ્લી ઘડીએ CM અને રાજ્યપાલની મુલાકાત રદ થઈ છે તો દિલ્હીથી કોલ આવ્યો હશે. છેલ્લી ઘડીએ સમીકરણો બદલાઈ શકે છે, જેના રાજીનામા સ્વીકારવાના હતા તેમને રિપીટ કરાઈ શકે છે જેથી મંત્રીમંડળનું કદ વધી શકે છે.