બોટાદમાં આમ આદમી પાર્ટીની મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો. તેના ગણતરીના કલાકોમાં જ રવિવારે રાત્રે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ રાજકોટમાં પાટીદારોના ગઢ ગણાતા મવડી વિસ્તારમાં જનસભા યોજી હતી. બોટાદની ઘટનાને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા. સાથે આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સત્તા આવવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
રાજકોટના મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોકમાં ગોપાલ ઈટાલિયાની જનસભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઈટાલિયા દ્વારા ટીપીની જમીન મુદ્દે ગોટાળા થતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
પોલીસના માણસોએ બોટાદમાં પથ્થરમારો કર્યાનો આક્ષેપ ઈટાલિયાએ કહ્યું કે, બોટાદમાં આમ આદમી પાર્ટીની શાંતિપૂર્ણ રીતે મહા પંચાયત ચાલી રહી હતી. તેમાં કેટલાક બુટલેગરોએ સામેલ થઈ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ ગામલોકો અને ખેડૂતોને માર મારવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી ખેડૂતોની લડાઈ લડતી રહેશે.