ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP) એ શુક્રવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને એર ઇન્ડિયાના તમામ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનોને ગ્રાઉન્ડ કરવાની માગ કરી હતી.
એક અઠવાડિયામાં બે ઘટનાઓ બાદ, FIP એ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા વિદ્યુત પ્રણાલીનું નિરીક્ષણ અને એર ઇન્ડિયાનું વિશેષ ઓડિટ કરાવવાની માગ કરી.
FIPના પ્રમુખ કેપ્ટન સીએસ રંધાવાએ આ બાબતે નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુને પત્ર લખ્યો છે. FIP 5,000 પાઇલટ્સનું પ્રતિનિધિત્વ કરે છે. મંત્રાલયે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.
ઑસ્ટ્રિયાના વિયેનાથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI154, ટેકનિકલ સમસ્યાને કારણે દુબઈમાં લેન્ડ થઈ ગઈ. એરલાઇનના જણાવ્યા અનુસાર, ફ્લાઇટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ફરીથી ટેકઓફ માટે મંજૂરી આપવામાં આવી હતી. ફ્લાઇટ સવારે 8:45 વાગ્યે દુબઈથી રવાના થઈ હતી. બધા મુસાફરો સુરક્ષિત છે. વિમાનના ઓટોપાયલટ, ILS, ફ્લાઇટ ડિરેક્ટર્સ અને ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી.