રાજકોટ જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા ભાદર-1 ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં થયેલા સારા વરસાદ અને સૌની યોજનાના પાણીની આવકને કારણે ડેમ તેની 34 ફૂટની ભયજનક સપાટી પર પહોંચી છલકાઈ ગયો છે. આ ડેમ છલકાતા રાજકોટ સહિત 20 લાખ લોકો માટે પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.
ભાદર-1 ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. હાલમાં ડેમમાં 282 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 282 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
આ ડેમ છલકાતા રાજકોટ, જેતપુર, વીરપુર, ખોડલધામ સહિત જૂથ યોજના હેઠળ આવતા 20 લાખ લોકો માટે પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. આ ઉપરાંત, સિંચાઈ માટે પણ આ ડેમ અત્યંત મહત્વનો હોવાથી ખેડૂતો માટે આગામી સમયમાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ રહેશે.