રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની(GPCB) રાજકોટ કચેરીના અધિકારીઓની આળસુવૃત્તિ તેમજ દાંડાઈના કારણે શહેરની ભાગોળે નાકરાવાડી પાસે જ્યાં આખા શહેરનો એકત્રિત કરાયેલો કચરો ડમ્પ કરવામાં આવે છે તેનાથી સતત 10 વર્ષ સુધી જળ, જમીન અને હવામાં ભયંકર રીતે પ્રદૂષણ ફેલાયું હતું.
આ કારણોસર જ એનજીટીએ રાજકોટ મહાનગરપાલિકાને હુકમ કર્યો છે કે તમારે રૂ.22.50 કરોડ પર્યાવરણને નુકસાની કરવા સબબ જીપીસીબીને ચૂકવી આપવાના રહેશે.
રાજકોટમાં રહેતા આરટીઆઈ એક્ટિવિસ્ટ એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ ગત તા. 11-1-2022ના રોજ એનજીટીને ઈ-મેઇલથી ફરિયાદ કરી હતી કે, નાકરાવાડી ડમ્પિંગ સાઈટ પર લાખો ટન કચરો પડ્યો છે અને તેનાથી પર્યાવરણને અકલ્પનીય નુકસાન થઈ રહ્યું છે.
આથી એનજીટીએ રાજકોટ જીપીસીબી અને કલેક્ટરના વડપણ હેઠળ એક કમિટી બનાવી અને તેનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.
કમિટીના સભ્યોએ 29-4-2023ના રોજ નાકરાવાડી ડમ્પિંગ સાઈટની રૂબરૂ મુલાકાત લીધા બાદ રિપોર્ટ સબમિટ કર્યો હતો જો કે તેમાં કેટલીક બાબતો છૂપાવવામાં આવી હોવાનું બહાર આવતા મનપા અને જીપીસીબીને એફિડેવિટ રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.