શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતા અને ગુજસીટોકમાં જામીન પર છૂટેલા કુખ્યાત ઇમ્તિયાઝ ઉર્ફે લાલાએ ત્યક્તાને પોતાની સાથે સંબંધ રાખવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ભૂગર્ભમાં ઉતરી ગયેલા નામચીન શખ્સની શોધખોળ આદરી હતી.
જંક્શન રોડ પર હંસરાજનગરમાં રહેતી ત્યક્તા સમા કમરૂભાઇ ભાયાણી (ઉ.વ.25)એ ફરિયાદમાં આરોપી તરીકે ઇમ્તિયાઝ ભીખુ રાઉમાનું નામ આપ્યું હતું. પોતે 8 વર્ષના પુત્ર સાથે માતા નૌબી હનીફાબેનની સાથે રહે છે. તેના ધર્મના ભાઇ હનન આરિફ ચાવડા મારફતે ચાર મહિના પહેલા ઇમ્તિયાઝ રાઉમા સાથે પરિચય થયો હતો અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો, ત્રણ મહિના પ્રેમસંબંધ ચાલ્યો હતો. વિસેક દિવસથી ઇમ્તિયાઝ યુવતીના ધર્મના ભાઇ હનન ચાવડાને ફોન કરી યુવતીને કોન્ફરન્સ કોલમાં લઇ વાત કરતો અને ધમકી આપતો હતો કે, સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખીશ.