વડોદરામાં ધાર્મિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ

વડોદરામાં એક સગીરાનો ગુસ્સો શાંત કરવા અને સ્વભાવ સુધારવા માટે માતા-પિતાએ ઘરે પૂજા-વિધિ માટે એક પૂજારીને બોલાવ્યો હતો. આ પૂજારી નરેન્દ્ર ભટ્ટે ધાર્મિક વિધિના બહાને અલગ રૂમમાં લઈ જઈ સગીરા પર દુષ્કૃત્ય આચર્યું હતું. પ્રથમ ઘટના બાદ ડરી ગયેલી સગીરાએ બીજી વખત હિંમત દાખવી, મિત્રની મદદથી મોબાઈલ કેમેરા ગોઠવી આખી કરતૂત વીડિયોમાં કેપ્ચર કરી લીધી હતી.

આ મજબૂત પુરાવા સાથે સગીરાએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે તાત્કાલિક આરોપી પૂજારી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે માતા-પિતાને બાળકો સાથે સંવાદ રાખવા અને દીકરીઓને અન્યાય સામે અવાજ ઉઠાવવા અપીલ કરી છે.

DCP ઝોન-2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, પીડિતા તેના મિત્ર સાથે પોલીસ સ્ટેશને આવી હતી. તેણે પોલીસને આવીને જણાવ્યું કે, તેની સાથે આવું દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે. આ બાબતે અમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ દીકરી અવારનવાર ગુસ્સો કરતી અને ચીડાઈ જતી હતી. તેથી તેના માતા-પિતાને લાગ્યું કે, કોઈ પૂજારી દ્વારા પૂજાવિધિ કરાવવામાં આવે, તો દીકરીનો ગુસ્સો શાંત થઈ જશે અને તેના સ્વભાવની સમસ્યાઓ દૂર થશે. આ હેતુથી માતા-પિતાએ જ પૂજારીને ઘરે આવીને વિધિ કરવા માટે કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *