ભારતીય હવામાન વિભાગે (આઇ.એમ.ડી.) સૌરાષ્ટ્રમાં તા. 20 અને 21 ઓગસ્ટનાં રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ બાબતને ધ્યાને લઈ રાજકોટ જિલ્લાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કલેકટર ડૉ.ઓમ પ્રકાશે સૂચના આપી છે. જેમાં રાજકોટ જિલ્લાનાં પ્રાંત અધિકારીઓ, તાલુકા નોડલ ઓફિસરો, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતનાએ પોતાના કર્મચારીઓ સાથે મુખ્ય મથક પર રહેવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, આઇ.એમ.ડી.ના અહેવાલ મુજબ તા.20 અને તા.21 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
આ વરસાદના પગલે અનિચ્છનીય સ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી અગમચેતીના પગલાંઓ લેવા નિર્દેશ કર્યા છે. વરસાદના પગલે કોઈ અનિચ્છનીય સ્થિતિ સર્જાય કે બનાવ બને તો તે અંગે તાત્કાલિક નિવારક પગલાં લેવા અને આ અંગે તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવા કલેકટરે તાકીદ પણ કરી છે.