જુલાઈમાં ભારતમાં બેરોજગારીનો દર ઘટીને 5.2% થયો

જુલાઈ 2025માં ભારતનો બેરોજગારી દર ઘટીને 5.2% થયો છે. આ છેલ્લા 3 મહિનામાં સૌથી નીચો છે. જૂનમાં બેરોજગારી દર 5.6% હતો. કેન્દ્ર સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે સોમવારે બેરોજગારી દરના આંકડા જાહેર કર્યા છે.

રિપોર્ટ મુજબ, શહેરી વિસ્તારોમાં નોકરીઓની સંખ્યામાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. IT, ટેલિકોમ, મેન્યુફેક્ચરિંગ અને રિટેલ ક્ષેત્રો જેવા નવા ઉદ્યોગોએ રોજગાર ગ્રાફને ઉપર તરફ ધકેલી દીધો છે. આ ઉપરાંત, નાના અને મધ્યમ ઉદ્યોગોમાં પણ ભરતીમાં વધારો થયો છે, જેના કારણે ગામડાઓ અને નગરોમાં રોજગારનું સ્તર સુધર્યું છે.

ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 4.4% હતો, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 7.2% હતો. મહિલાઓમાં બેરોજગારીનો દર (8.7%) પુરુષો (4.6%) કરતા વધારે છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં. આ ડેટા દર્શાવે છે કે શહેરોમાં મહિલાઓને રોજગાર શોધવામાં પુરુષો કરતાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જુલાઈ 2025માં, 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે કામદાર વસતિ ગુણોત્તર (WPR) 52.0% હતો. WPR દર્શાવે છે કે કુલ વસતિમાંથી કેટલા લોકો ખરેખર રોજગારી ધરાવે છે.

ગ્રામીણ વિસ્તારોમાં WPR 54.4% હતો, જે શહેરી વિસ્તારોમાં 47.0% કરતા વધારે છે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલા WPR 35.5% હતો, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 23.5% હતો. આ દર્શાવે છે કે ગ્રામીણ ભારતમાં મહિલાઓની કાર્યબળ ભાગીદારી શહેરી મહિલાઓ કરતા વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *