શહેરના જૂના માર્કેટ યાર્ડ માસે માલધારી સોસા.માં રહેતા વૃદ્ધે નીંદર ન આવતા કંટાળીને ઝેર પી જીવન ટૂંકાવી લીધું હતું. જ્યારે ભિસ્તીવાડમાં રહેતા પ્રૌઢે બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ, જૂના માર્કેટ યાર્ડ માસે માલધારી સોસાયટીમાં રહેતાં દેવાયતભાઈ રાણાભાઈ સિંધવ (ઉ.વ.80)નામના વૃદ્ધે રાત્રિના એકાદ વાગ્યે ઘર નજીક ઝેરી ટીકડીઓ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર દેવાતભાઈ ચાર ભાઈમાં મોટા હતા અને નિવૃત્ત જીવન જીવતા હતા. તેઓને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. મૃતકના પરિવારજનોએ કહ્યું હતું કે, દેવાયતભાઈને નીંદર આવતી ન હોય જેથી કંટાળીને આ પગલું ભર્યું હતું.બીજા બનાવમાં ભિસ્તીવાડમાં રહેતા તૈયબભાઇ અબ્દુલભાઈ દલવાણી(ઉ.વ.49)એ પોતાના ઘરે ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ચાલુ સારવારમાં મોત થયું હતું. પોલીસ તપાસમાં મૃતક તૈયબભાઈ ઘણા સમયથી ગેંગરીન અને ડાયાબિટીસની બીમારીથી પીડાતા હોઈ જેથી કંટાળી તેમણે આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.
ઝેરી દવાવાળી માટી ખાવાથી 3 વર્ષના માસૂમનું મોત પડધરીના હડમતિયા ગામે વાડીમાં રહી મજૂરી કરતાં મૂળ દાહોદના પરિવારના ત્રણ વર્ષના પુત્રનું તાવ-શરદી થયા બાદ મોત થતાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો. સારવારમાં તબીબને બાળક પર ઝેરી દવાની અસર હોવાની આશંકાના આધારે પોસ્ટમોર્ટમ કરાવાતાં આશંકા સાચી નીવડી હતી. ઝેરી દવાથી મિશ્રિત માટી બાળકે રમતાં રમતાં ખાઇ જતાં ઝેરી અસર થયાનું ખુલ્યું હતું. બનાવની પ્રાપ્ત વિગત મુજબ હડમતિયા વાડીમાં રહી મજૂરી કરતાં મૂળ દાહોદના મુકેશભાઈ બારિયાના પુત્ર રેહાન(ઉ.વ.03)ને ગયા બુધવારે શરદી-તાવ થઇ જતાં સારવાર માટે પડધરી બાદ વધુ સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાળકને બાળ વિભાગમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જ્યાં મૃત્યુ થતા બનાવની એ-ડિવિઝન પોલીસને જાણ કરાઈ હતી. લાડકવાયાના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો.