ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો પણ સરકાર સામે મોરચો ખોલવા ગાંધીનગર જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના TET ફરજિયાતના નિર્ણય બાદ રાજ્યમાં 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે. જેથી 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માગ સાથે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ વિરોધ અને ધરણા પ્રદર્શન કર્યા હતા.
છતાં પણ માંગણીઓ ન સ્વીકારવામાં આવતા હવે ગાંધીનગરમાં શિક્ષકો ધરણા પ્રદર્શન કરશે. 11 જુલાઈએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 30 હજારથી વધુ શિક્ષકો જોડાશે. 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માંગ સાથે દિવસ ધરણા પ્રદર્શન કરશે.
સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતાં નિર્દેશ આપ્યો હતો કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે TET પાસ કરવી ફરજીયાત કરવામાં આવ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે.