મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પડી રહેલા મુશળધાર વરસાદની સીધી અસર હવે હવાઈ સેવાઓ પર જોવા મળી રહી છે. મુંબઈમાં ખરાબ હવામાન અને ‘ઝીરો વિઝિબિલિટી’ના કારણે આજે બેંગલુરુથી નવી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટને તાકીદના ધોરણે રાજકોટના હિરાસર સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી હતી.
રનવે પર વિઝિબિલિટી ઓછી થતાં લેન્ડિંગ અસુરક્ષિત બન્યું મળતી માહિતી મુજબ, ઇન્ડિગોની આ ફ્લાઇટ પોતાના નિર્ધારિત સમયે બેંગલુરુથી ઉડાન ભરીને નવી મુંબઈ તરફ જઈ રહી હતી. વિમાન જ્યારે મુંબઈના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું, ત્યારે ત્યાં અતિ ભારે વરસાદ અને ગાઢ વાદળો ઘેરાયેલા હતા. પ્રતિકૂળ હવામાનને કારણે રનવે પર વિઝિબિલિટી બિલકુલ નહિવત (ઝીરો) થઈ ગઈ હતી. પરિણામે મુંબઈ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા વિમાનને લેન્ડિંગ માટે મંજૂરી આપવી અસુરક્ષિત જણાતા ફ્લાઇટને થોડો સમય હવામાં જ હોલ્ડ પર રાખવામાં આવી હતી.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ
પાયલોટે લીધો ત્વરિત નિર્ણય હવામાનમાં સુધારો ન થતાં અને મુસાફરોની સુરક્ષાને સર્વોપરી ગણીને પાયલોટે ફ્લાઇટને ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો. પાયલોટે નજીકના સૌથી સક્ષમ અને સલામત વિકલ્પ તરીકે રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હિરાસર સ્થિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનો સંપર્ક સાધ્યો હતો. એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી બાદ વિમાનનું રાજકોટ ખાતે સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ અણધારી સ્થિતિને કારણે વિમાનમાં સવાર ૧૨૫ જેટલા મુસાફરોને થોડો સમય માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન સ્વચ્છ થતાં ફ્લાઇટે ફરી ઉડાન ભરી ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થયાના થોડા સમય બાદ મુંબઈમાં હવામાન સામાન્ય થયું હતું અને આકાશ સ્વચ્છ બની ગયું હતું. મુંબઈ એટીસી તરફથી લીલી ઝંડી મળતા જ ઈન્ડિગોની આ ફ્લાઇટે રાજકોટ એરપોર્ટ પરથી ફરી સફળતાપૂર્વક ટેકઓફ કર્યું હતું અને નવી મુંબઈ જવા રવાના થઈ હતી. મુંબઈ પહોંચીને તમામ મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.