ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ગઈકાલે એક કાર્યક્રમમાં લોકોને પોતાની મૂળભૂત ફરજો સમજી જાતે ત્રિકમ તગારૂ લઇ જાતે ખાડો બુરવા માટેની સલાહ આપતા વિવાદમાં આવ્યા છે. ત્યારે આજે રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ત્રિકમ અને તગારૂ લઈ જાતે ખાડા બૂર્યા હતા અને શિક્ષણ મંત્રીના નિવેદનનો વિરોધ કર્યો હતો. જો પ્રજા પાસેથી તગડો ટેક્સ વસૂલ્યા બાદ પણ જો બધા કામ પ્રજાએ જ કરવાના હોય તો સરકાર શા માટે બેઠી છે? તેવો સવાલ પણ કરવામાં આવ્યો હતો.
કુબેર ડિંડોરની સલાહનો AAP દ્વારા અનોખો વિરોધ રાજકોટ શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશ જોષીએ જણાવ્યું હતું કે, ગઈકાલે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સમગ્ર ગુજરાતના લોકોને નાગરિક ધર્મ બજાવવા માટેની અનોખી સલાહ આપી. જેમાં લોકોને જણાવ્યું કે, રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ખાડો પડે તો ત્યાં લોકોએ જાતે ખાડા પૂરી દેવા સરકારનો સંપર્ક કરવો નહીં. જેથી અમે આજે અહીં ખાડા પૂરી રહ્યા છીએ. કાલે સવારે તમે એમ કહો કે, તમે પોલીસનો ડ્રેસ પહેરી લો એટલે અમે પોલીસનો ડ્રેસ પહેરી લેશું. તમે જજ, વકીલ કે ડ્રાઇવર બનવાનું કહેશો તો તે પણ બની જશું અને તમે એમ કહેશો કે હાથમાં સાવરણો લઈને સફાઈ કરી નાખો તો અમારી પાર્ટી હાથમાં ઝાડુ લઇ ભાજપનો સફાયો કરી નાખશે.
‘પ્રજા જ કામ કરે તો સરકાર કેમ ટેક્સ વસુલે છે’ વધુમાં તેમણે કહ્યું કે, શિક્ષણમંત્રી ડીંડોરને મારે કહેવું છે કે, તમારું નામ કુબેર છે તો તમારી પાસે કુબેરનો ભંડાર હશે, પરંતુ સામાન્ય જનતા પાસે તમારા જેટલો કુબેર ભર્યો નથી. જો સામાન્ય લોકોએ ખાડા પૂરવાના હોય તો સરકાર શેના માટે છે. જો પ્રજાએ બધું કામ કરવાનું હોય તો સરકાર દ્વારા ટેક્સ શા માટે વસૂલવામાં આવે છે.