પી.ટી.જાડેજાનો પાસાનો હુકમ રિવોક

ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાની રાજકોટ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી સાબરમતી જેલહવાલે કરી દીધા હતા ત્યારબાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન પત્ર આપી મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી સમક્ષ પાસા રીવોક કરવા માંગ કરાઈ હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાસાના આ હુકમને રાજ્યના ગૃહ વિભાગે રિવોક કર્યો છે અને મંગળવારે જાડેજા જેલમાંથી બહાર આવશે.

રાજકોટના સાંઇનગર વિસ્તારમાં રહેતા પ્રવીણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા)ના ઘરે ગત તા.4ની રાત્રિના તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી અને પી.ટી.જાડેજાની પાસા હેઠળ અટકાયત કરી તે રાત્રે જ તેને અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલી દીધા હતા. આ ઘટનાના ક્ષત્રિય સમાજમાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા.

બીજી બાજુ પાંચેક દિવસ પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનો મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને રૂબરૂ મળ્યા હતા અને પી.ટી.જાડેજા સામે મનીલેન્ડ અને ધમકી આપવા અંગેના બે જ ગુના હોવા છતાં રાજકોટ પોલીસે તેમને ટાર્ગેટ કરી પાસા કર્યા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. સોમવારે રાજ્યના ગૃહ વિભાગે પી.ટી.જાડેજા સામેનો પાસાનો હુકમ રિવોક કર્યો હતો અને વાતની પુષ્ટિ તેમના પુત્ર અક્ષિતસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કરને કરી હતી. પાસા રિવોકનો હુકમ મંગળવારે સાબરમતી જેલમાં રજૂ કરાશે અને ત્યારબાદ જેલમાંથી તેમનો છુટકારો થશે. ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું કે, મંગળવારે પી.ટી.જાડેજા જેલમાંથી બહાર આવશે ત્યારે મોટી સંખ્યામાં રાજકોટથી સમાજના આગેવાનો તેમને માનભેર લઇ આવવા અમદાવાદ ખાતે પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *