રાજકોટમાં વર્ષ 1962માં થયેલા દાવામાં વાદીને રૂ.3 કરોડનો એવોર્ડ આપવાના ચુકાદાના કેસમાં રાજ્ય સરકારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરી હતી અને તેમાં સરકારને રૂ.2.20 કરોડનો સીધો ફાયદો થયો છે અને વાદીને રૂ.3 કરોડ નહીં પરંતુ રૂ.80 લાખ એવોર્ડ તરીકે ચૂકવવા ડિસ્ટ્રિક્ટ કોર્ટે આદેશ કર્યો છે.
રાજકોટ રહીશ ગોકળદાસ અમરશીભાઇએ વર્ષ-1920માં જામનગર જિલ્લાના 5 ગામોની પોતાની જમીનો રૂ.5 હજારની લોન પેટે જામીનગીરી કરી આપેલ હતી. 8 વર્ષ બાદ તેઓએ પોતાની લોન ભરપાઇ કરી આપી લોન આપનાર પાસેથી પોતાની જમીનો પરત માગી હતી. આ સમયે આ જમીનો જે તે વખતના સૌરાષ્ટ્ર રાજ્યએ હસ્તગત કરેલી હતી.
વાદી ગોકળદાસે સૌરાષ્ટ્ર રાજ્ય પાસેથી પોતાની આ જમીનો પરત માગી હતી પરંતુ વહીવટી પ્રક્રિયામાં લાંબા સમયના કારણે 1955 સુધી આ જમીનો વાદી ગોકળદાસને પરત મળેલ ન હતી. વર્ષ-1955માં સૌરાષ્ટ્ર લેન્ડ રીફોર્મ એક્ટ આવતા વાદી ગોકળદાસનો જમીન પરનો હક્ક જતો રહ્યો હતો. વાદી ગોકળદાસે 1962માં દાવો કરી સરકાર સામે દાદ માગી હતી કે તેઓનો માલિકી હક્ક કાયદાકીય જોગવાઇથી જતો રહેલ ત્યાં સુધી તેઓ જમીનોનો ખેતી માટે ઉપયોગ કરી શકેલ નથી. આ રીતે તેઓને નુકસાની થયેલ છે તેઓને પાક નુકસાની વેઠવી પડી છે. તેથી તેઓને વળતર મળવું જોઇએ.