શહેરમાં કોઠારિયા રોડ પાસે રંગીલા સોસાયટીમાં વૃદ્ધાએ પોતાના ઘેર ઉપરના માળે છતના હૂકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. પૌત્ર રાત્રે ઘેર મોડો આવતો હોય જે બાબતે તેનો પુત્ર ઠપકો આપતો હોય લાગી આવતા વૃદ્ધાએ આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રંગીલા સોસાયટીમાં રહેતા ઇન્દુબેન રાજુભાઇ મકવાણા (ઉ.50) તેના ઘેર ઉપરના માળે હતા ત્યારે ગળાફાંસો ખાઇ લીધો હતો. તેના પરિવાર લોકો તેને બોલાવવા જતા વૃદ્ધાને લટકતી હાલતમાં જોઇ દેકારો કરતાં પરિવાર તેમજ પાડોશના લોકોએ દોડી આવી વૃદ્ધાને નીચે ઉતારી જાણ કરતાં 108ની ટીમે પહોંચી તબીબે વૃદ્ધાને મૃત જાહેર કરતાં આજી ડેમ પોલીસ મથકના જમાદાર નારણભાઇ સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી કરી છે.
પોલીસની તપાસમાં વૃદ્ધાને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં ઇન્દુબેનનો પૌત્ર ઘેર રાત્રીના મોડો આવતો હોય જેથી તેના પુત્રએ ઠપકો આપતા લાગી આવતા આ પગલું ભરી લીધાનું બહાર આવતા પેાલીસે વધુ કાર્યવાહી કરી છે.
જ્યારે બીજા બનાવમાં આજી ડેમ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચેના ભારતનગરમાં રહેતો અને મૂળ ઉત્તરપ્રદેશનો મનોજ રાજકુમાર (ઉ.20) એ પોતાના ઘેર હતો ત્યારે છતના એંગલમાં રૂમાલ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા થોરાળા પોલીસ મથકના પીએસઆઇ ધાંધલા સહિતના સ્ટાફે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી યુવકના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.