ગોંડલ રોડ પર વાવડી ગામે રહેતો અને ધો.12માં અભ્યાસ કરતાં કિશોરે પોતાના ઘેર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પિતા હૃદયરોગની સારવાર કરવા માટે નવસારી ગયા હોય ફોન પર અભ્યાસમાં અને ઘેર ધ્યાન રાખવા બાબતે ફોનમાં ઠપકો આપતાં આ પગલું ભરી લીધું હોવાનું અને પિતાને એકના એક પુત્રનાં મોતની જાણ થતાં તેની તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
વાવડીમાં 80 ફૂટ રોડ પર રહેતો મંથન જગદીશભાઇ કયાડા (ઉ.17) રાત્રીના તેના ઘેર હતો ત્યારે ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના જમાદાર નિલેશભાઇ ચાવડા સહિતે તપાસ કરતાં મૃતક મંથન તેના પરિવારનો એકના એક પુત્ર હતો અને તેના પિતા વ્હાઇટ કોલનો ધંધો કરતાં હોવાનું અને મંથન ત્રંબા ગામે સ્વામિનારાયણ સ્કૂલમાં ધો.11માં અભ્યાસ પૂર્ણ કરી ધો.12માં આવ્યો હતો અને તેના પિતાને હૃદયરોગની બીમારી હોય સારવાર માટે નવસારી ગયા હતા. દરમિયાન વેકેશનમાં મોડે સુધી જાગતા મંથનની માતાએ ફરિયાદ કરતાં તેના પિતાએ ફોનમાં મંથનને અભ્યાસમાં અને ઘરમાં તેમજ આપણા ધંધામાં ધ્યાન રાખવાનું કહી ઠપકો આપતાં લાગી આવતા કિશોરે આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.