ગરમીની સ્થિતિ પ્રમાણે શાળાનો સમય બદલી શકાશે, ખેલકૂદની મનાઈ ફરમાવી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હીટવેવની આગાહી પ્રમાણે જ તાપમાનનો પારો ઊંચી જઇ રહ્યો છે ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. વિદ્યાર્થીઓને હીટવેવ અંગે સમજણ આપવી, ઓપન એર વર્ગ બંધ કરવા અને ગરમીમાં સ્કૂલના સમયમાં ફેરફાર કરવા જણાવ્યું છે. રાજ્યની તમામ સ્કૂલોમાં આ ગાઇડલાઇનનું પાલન કરાવવા જણાવાયું છે.

હીટવેવ સંદર્ભે માહિતી આપતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, રાજ્યના બાળકોનું હિત રાજ્ય સરકાર માટે સર્વોપરી છે, પ્રાથમિક શાળાના બાળકો સાયલન્ટ ડિઝાસ્ટર ‘હીટવેવ’નો શિકાર ન થાય તે માટે પ્રાથમિક વિભાગની શાળાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી ગરમીનું પ્રમાણ જોઇને શાળાના સમયમાં ફેરફાર કરી શકશે, તેમને રાજ્ય સરકાર પાસે કોઈ પણ પ્રકાર મંજૂરી મેળવવાની રહેશે નહિ. શાળામાં વિદ્યાર્થીઓ પ્રાર્થના બાદ ઉનાળાના સમયગાળા દરમિયાન મેદાનમાં ખેલકૂદની પ્રવૃત્તિઓ કરી શકશે નહિ. ઉનાળાની ગરમીમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓ સમયસર પાણી પીવે તે તેમને યાદ કરાવવાનું રહેશે. રાજ્યના નાગરિકોએ હીટવેવથી ડરવાની નહિ પણ, જાગૃતિ સાથે પોતાના બાળકની કાળજી રાખવાની જરૂર છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

અગાઉ પણ ગરમીને લીધે બપોરની પાળીની શાળાઓનો સમય સવારનો કરવા માગણી ઊઠી હતી. બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલતી સ્કૂલો સવારે 7:30થી બપોરે 12:00 વાગ્યા સુધી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. તકેદારીના ભાગરૂપે તમામ સ્કૂલોમાં શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવ તેમજ તેની અસરો અને તેનાથી બચવાના ઉપાય વિશે સમજણ આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ઉનાળા દરમિયાન કોઈ પણ ઓપન એર વર્ગો હાથ ધરવાના રહેશે નહીં. ગરમીની સિઝનમાં સ્કૂલના સમયમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *