પોલીસ અધિકારીથી PM સુધીની સફર

વર્ષ 2004ની વાત છે. થાઇલેન્ડના દક્ષિણ ભાગમાં અલગ મુસ્લિમ દેશ ‘પટ્ટાની’ માટે મોટા પાયે પ્રદર્શનો થયા હતા. મુસ્લિમ બહુમતી ધરાવતા નરથિવાત રાજ્યમાં પોલીસે વિરોધ કરી રહેલા 6 લોકોની ધરપકડ કરી. 25 ઓક્ટોબરના રોજ, 2000થી વધુ મુસ્લિમો પોલીસ સ્ટેશન પર એકઠા થયા અને તેમની મુક્તિની માગ કરી.

અલગતાવાદીઓ અને પોલીસ વચ્ચેનો મુકાબલો વધુ તીવ્ર બન્યો. ત્યાર બાદ પીએમ થાકસિન શિનવાત્રાએ તેને કડક રીતે કચડી નાખવાનો આદેશ આપ્યો. પોલીસે હજારો લોકોની બળજબરીથી ધરપકડ કરી, તેમને નગ્ન કર્યા અને તેમના હાથ પીઠ પાછળ બાંધી દીધા. તેમને 26 ટ્રકમાં ભરીને 150 કિમી દૂર એક આર્મી કેમ્પમાં મોકલવામાં આવ્યા.

જ્યારે તેમને 7 કલાક પછી કેમ્પમાં લાવવામાં આવ્યા, ત્યારે તેમાંથી 78 લોકોના મોત ગૂંગળામણથી થયા હતા. આ ઘટનાને કારણે થાઈ સરકારની વ્યાપક ટીકા થઈ. અલગતાવાદીઓને સમર્થન આપી રહેલા મલેશિયાએ પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, આ ઘટનાએ થાઇલેન્ડની બૌદ્ધ બહુમતી વસતિમાં થાકસિનને લોકપ્રિય બનાવ્યો. લોકોને લાગતું હતું કે થાકસિન એવી વ્યક્તિ છે જે દેશને એક રાખવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

વર્ષ 1850ની વાત છે. ચીનમાં, હોંગ શિયુચુઆન નામના એક વ્યક્તિએ બૌદ્ધ ધર્મ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી હતી. હોંગે ​​પોતાને ઈસુ ખ્રિસ્તના નાના ભાઈ તરીકે વર્ણવ્યા. તેણે કિંગ રાજવંશ સામે બળવો કર્યો અને દક્ષિણ ચીન કબજે કરવાનો પ્રયાસ કર્યો.

આનાથી દેશમાં ભયંકર ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું અને 2 કરોડ લોકો માર્યા ગયા. દેશની હાલત ખરાબ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, સેંગ સેખુ નામનો વ્યક્તિ દેશ છોડીને સિયામ આવ્યો. થાઇલેન્ડને તે સમયે સિયામ કહેવામાં આવતું હતું. સેંગે રેશમી કાપડનો વ્યવસાય શરૂ કર્યો અને ખૂબ જ સમૃદ્ધ થયો.

1938માં સેખુ પરિવારે થાઈ સંસ્કૃતિમાં આત્મસાત થવા માટે ‘શિનવાત્રા’ નામ અપનાવ્યું. થાકસિન સેખુ પરિવારના પાંચમી પેઢીના વંશજ છે. થાકસિનનો જન્મ 1949માં થયો હતો. થાકસિનના દાદા, ચિયાંગ સેખુ, પરિવારના રેશમ વ્યવસાયને આગળ ધપાવતા હતા અને ‘શિનવાત્રા સિલ્ક’ની સ્થાપના કરી હતી.

થાકસિનના પિતા લોએટ શિનવાત્રાએ પણ કૌટુંબિક વ્યવસાયનો વિસ્તાર કર્યો. રાજકારણમાં પણ જોડાયા. લોએટ 1968 થી 1976 સુધી સંસદ સભ્ય પણ રહ્યા. આનાથી થાકસિનને નાની ઉંમરે રાજકીય ઓળખ મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *