રાજકોટ મહાનગરપાલિકાએ નવા નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં જન્મ-મરણના પ્રથમ પાંચ દાખલા ફ્રી આપવાની જાહેરાત કરી હતી જેની 1લી એપ્રિલે અમલવારી ન થતા અને જન્મ-મરણના દાખલા કઢાવવા આવનાર પાસે રૂ.5ના બદલે નવો ચાર્જ રૂ.50 લેવામાં આવતા ભારે દેકારો બોલી ગયો હતો અને તંત્રને તિજોરી ભરવામાં જ રસ હોવાનો સૂર ઉઠ્યા બાદ 2જી તારીખથી મનપાના શાસકોએ પોતાની ભૂલ સુધારી લીધી હતી અને જન્મ-મરણના પ્રથમ પાંચ દાખલાઓ ફ્રી આપવાની યોજના અમલી કરવામાં આવી છે.
રાજકોટ મનપાના મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તા.11-02-2025ના રોજ નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્રમાં જન્મ-મરણના પ્રથમ પાંચ દાખલા ફ્રી અંગેની જાહેરાત કરવામાં આવી હતી.