ગુજરાતમાં વર્ષ 2024માં વીજ વિભાગની સ્માર્ટ મીટર યોજના લાગુ થયા બાદ અમુક જગ્યાએ એનો વિરોધ થયો હતો અને બિલ વધુ આવતું હોવાની અનેક ફરિયાદો પણ આવી હતી, જોકે આ વચ્ચે પણ PGVCLનું સ્માર્ટ મીટર સૌરાષ્ટ્ર-કચ્છના 55 લાખમાંથી 1.22 લાખ ઘરો, પ્રિમાઇસીસમાં મૂકવામાં આવી ચૂક્યું છે. જોકે હવે આ સ્માર્ટ મીટર પ્રી-પેઇડના બદલે પોસ્ટ પેઇડ જ નાખવામાં આવી રહ્યા છે, એટલે કે પહેલા મોબાઇલમાં રિચાર્જ કરાવવું પડતું હતું અને હવે 2 મહિને વીજ બિલ આવે છે. સ્માર્ટ મીટર એ ખરેખર સ્માર્ટ છે, એના માટે PGVCLના અધિકારીઓ ઘરે-ઘરે જઈને લોકોને સમજાવી રહ્યા છે.
સ્માર્ટ મીટરથી ઓનલાઇન બિલિંગ, વીજ વપરાશ પર કંટ્રોલ, ફોલ્ટી વીજ ઉપકરણોનું નોટિફિકેશન મેળવવાથી વધુ વીજ બિલ અટકાવી શકાય છે અને વીજ અકસ્માતો પણ નિવારી શકાય છે. ગ્રાહકો પણ કહી રહ્યા છે કે સ્માર્ટ મીટર લોકો માટે ફાયદારૂપ છે અને જૂના ડિજિટલ મીટર અને સ્માર્ટ મીટરમાં વીજ યુનિટના રીડિંગ એકસરખા થાય છે તેના માટે ચેક મીટર તો છે જ. જોકે મહત્ત્વની વાત એ છે કે સ્માર્ટ મીટર નાખવાની શરૂઆત થઈ ત્યારે જૂના એરિયર્સના કારણે લોકોને વીજ બિલ વધુ આવતું હતું અને તેથી તેમને એવું લાગ્યું કે સ્માર્ટ મીટર આવ્યા પછી વીજ બિલ વધ્યું છે અને તેનાથી વિરોધ થયો અને બાદમાં PGVCLમાં પણ સ્માર્ટ મીટર પ્રિપેડના બદલે હવે પોસ્ટપેડ એડ કરવું પડ્યું.