રાજકોટ લોહાણા મહાજન દ્વારા રેસકોર્સ મેદાન ખાતે આજથી (30 માર્ચ) 5 એપ્રિલ સુધી જીગ્નેશ દાદાની ભાગવત સપ્તાહ યોજવાની છે. આજે બપોરે વિરાણી હાઇસ્કુલ મેદાન ખાતેથી વાજતે-ગાજતે કથાની પોથીયાત્રા નીકળી હતી. જેમાં 500થી વધુ લોકો માથા પર સાફો બાંધી બાઈક અને કારમાં નીકળ્યા હતા. આકરા તાપ વચ્ચે પણ પ્રભુની પોથીયાત્રાનો અનેરો ઉત્સાહ લોકોમાં જૉવા મળ્યો હતો. અવનવા ફ્લોટ્સમાં ભાગવત સપ્તાહના પ્રસંગોને બાળકો દ્વારા જીવંત કરાયા હતા. બાળકો રામ, સીતા અને લક્ષ્મણ બન્યા હતાં તો ભગવાન કૃષ્ણ અને રાધા તેમજ નૃસિંહ અવતારના સાક્ષાત દર્શન થયા હતા. આ દરમિયાન વિન્ટેજ કારનું આકર્ષણ પણ જૉવા મળ્યું હતું. રેસકોર્સ મેદાનમા યોજાનારી કથામાં દૈનિક 15,000 તો 7 દિવસમાં દોઢ લાખ લોકો કથાનું રસપાન કરે તેવો અંદાજ છે.
લોહાણા સમાજના અગ્રણી અને ઓર્થોપેડિક સર્જન ડૉ. ભાવેશ સચદેએ જણાવ્યું હતુ કે, રાજકોટ લોહાણા મહાજન દ્વારા પ્રમુખ રાજુ પોબારુ અને નિશાંત ચોટાઈના માગૅદશૅન હેઠળ 108 ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ ઉપરથી જીજ્ઞેશ દાદા કથાનું રસપાન કરાવવાના છે. આ કથાનો હેતુ પિતૃઓના મોક્ષાર્થે અને સમગ્ર કલ્યાણ અર્થે રાખવામાં આવેલો છે. સમગ્ર રાજકોટ વાસીઓ પોતાના પિતૃઓના મોક્ષ માટે ભાગવત સપ્તાહમાં રસપાન કરવા માટે આવે તેનું આમંત્રણ આપું છું.