રાજકોટના નાનામવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો ભૂંજાઇ ગયા હતા અને સમગ્ર દેશમાં આ ઘટનાના ઘેરા પડઘા પડયા હતા. આ ઘટના હજુ પણ લોકોના માનસપટ પરથી ભુલાઇ નથી ત્યાં રવિવારે સવારે 10.30 વાગ્યે સયાજી હોટેલ પાછળ આવેલા ટીઆરપી ગેમ ઝોનના જગ્યામાંથી આગના લબકારા અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર જાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટીઆરપી ગેમ ઝોનનો કાટમાળ હજુ પણ ઘટનાસ્થળે પડેલો છે ત્યારે આ આગ હકીકતમાં લાગી હતી કે પછી જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે મુદ્દે અનેક સવાલો ઉઠયા છે.
મહાપાલિકાના ફાયરશાખાના અધિકારી અશોકસિંહ ઝાલાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ મુદ્દે હજુ સુધી ફાયરશાખામાં કોઇ નોંધ પડી નથી કે આગ લાગ્યાની કોઇ જાણ કોઇએ કરી નથી. બની શકે કે કોઇ વ્યક્તિએ જૂના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હોય.