યોર રેસ્ટોરન્ટમાંથી 62 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, ત્રણ નમૂના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભૂપેન્દ્ર રોડ પર બાલાજી મંદિરની સામે કવિ નાનાલાલ માર્ગ પર શિરોમણી કોમ્પ્લેક્સમાં આવેલ “યોર રેસ્ટોરેન્ટ એન્ડ પાર્સલ” પેઢીમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સ્થળ પર સંગ્રહ કરેલ વાસી પ્રિપેર્ડ-ફૂડ, વાસી શાકભાજી તથા એક્સપાયરી ચીઝ સોસ વગેરે અંદાજિત 62 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થો મળી આવતા ફૂડ વિભાગે અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

તેમજ પેઢીની તપાસ દરમિયાન કિચન અને સ્ટોરેજ સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. તેમજ સ્થળ પરથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ “પંજાબી સબ્જી માટેની ગ્રેવી, પનીર તથા રેડ ચીલી સોસ” ના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂના ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના પી.ડી.એમ. કોલેજ સામે, ગોંડલ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 8 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી જેમાં બાલાજી દાળ, સાઇ મદ્રાસ કાફે, સાઇ દાળ પકવાન, મારુતિ દાળ પકવાન, જય અંબિકા દાળ, ભવાની દાળ પકવાન, આશાપુરા દાળ પકવાન અને ક્રિશ્ના મદ્રાસીને લાઇસન્સ મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *