ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 ફેબ્રુઆરીએ સોમનાથ તથા જૂનાગઢમાં યોજાનારા ભવ્ય મેળામાં લોકોએ ગરમીમાં શેકાવું પડશે. રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર નોંધાયો હતો.
ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતવાસીઓને એપ્રિલ જેવી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હજુ પણ આગામી સાત દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્ય પર હાલમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે. આ પવનો શુષ્ક રહેવાને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ અરબ સાગરના ભેજને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં બફારાનો અનુભવ થશે. આગામી 24 કલાક ગુજરાતનું મહત્તમ તાપમાન યથાવત્ રહેશે ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. લઘુતમ તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે, એટલે કે ગુજરાતમાં હવે શિયાળાની અસર વર્તાય એની શક્યતા જણાતી નથી.