સમૂહલગ્નના આયોજકો ફરાર થતા બોલબાલા ટ્રસ્ટે જાન જમાડી

રાજકોટમાં ગઈકાલે (22 ફેબ્રુઆરી) ઋષિવંશી સમાજ સેવા સંઘના નેજા હેઠળના સર્વજ્ઞાતિ સમૂહલગ્ન હતાં. 28 વરઘોડિયા સાથેની જાન જ્યારે લગ્ન સ્થળે પહોંચી ત્યારે અહીં કોઈપણ પ્રકારનું આયોજન નહોતું. જાન લઈને આવેલા લોકોએ તપાસ કરતા સમૂહલગ્નના આયોજકો પૈસા લઈને ફરાર થઈ ગયાની જાણ થઈ હતી. ભારે હોબાળો થતા પોલીસ દોડી આવી હતી અને કેટલાંક વર-વધુના લગ્ન કરાવ્યાં હતાં.

આ સમયે વરઘોડિયા સાથે આવેલા જાનૈયાને કેવી રીતે જમાડવા તે પ્રશ્નો ઉઠ્યો હતો. ત્યાં જ બોલબાલા ટ્રસ્ટ મદદે આવ્યું હતું અને લગ્નમાં પીરસવામાં આવે તે પ્રકારનું ભોજન 570 લોકોને પીરસાયું હતું. આ એજ ટ્રસ્ટ છે જેને કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન 20 લાખ લોકોને ભોજન પીરસી વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ જીત્યો હતો.

રાજકોટવાસીઓનું સંકટ અમારુ ગણાય: જયેશભાઈ રાજકોટના મિલપરામાં 35 વર્ષથી કાર્યરત બોલબાલા ટ્રસ્ટના સંચાલક જયેશભાઈ ઉપાધ્યાય જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓ પર આવતા સંકટ એ અમારા પરના સંકટ ગણાય. કુદરતી આપત્તિઓ આવે કે અન્ય કોઈપણ બાબત, દરેક વખતે બોલબાલા ટ્રસ્ટની સેવાની સુવાસ રાજકોટ શહેરમાં કાયમ ફેલાતી રહે છે. કોરોના જેવા કપરા કાળમાં આ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. જેમાં લોકડાઉન દરમિયાન 20 લાખ લોકોને ભોજન આપી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ મેળવેલો છે. અહીં દરરોજ 3000 લોકોનું ભોજન બનાવી શકાય તેવું રસોડુ છે અને તેમાં 35થી વધુ રસોઈયા સહિતના કાર્યકર્તાઓ છે. કોરોના કાળમાં ઑક્સિજનના બાટલાની અછત હતી, ત્યારે દર્દીઓ માટે રાહત દરે ઓક્સિજનના સિલિન્ડર પણ આપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *