શહેરમાં પુષ્કરધામ પાસે કેવલમ રેસિડેન્સી સામે આવાસના ક્વાર્ટરમાં રહેતી તરુણીએ એસિડ પી અને રામપરા બેટી ગામે તરુણીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી સાયના લાલજીભાઇ બગડા (ઉ.17)એ પોતાના ઘેર એસિડ પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસે તપાસ કરતાં મૃતક તરુણી બે બહેનો અને એક ભાઇમાં નાની હતી અને તેના પિતા ગામડે અલગ રહેતા હોય અને તે માતા સાથે એક વર્ષથી રાજકોટ રહેતી હોવાનું અને કેટલાક સમયથી માથાનો દુખાવો સતત રહેતો હોય કંટાળી પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
જ્યારે બીજા બનાવમાં રામપર બેટી ગામની સીમમાં ઓરડીમાં રહેતી હિરલ કાળુભાઇ તૃરીખ (ઉ.14) એ પોતાના ઘેર લોખંડની એંગલમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેની મોટી બહેન બોલાવવા જતા દરવાજો બંધ હોય તેને જાણ કરતા પરિવારજનોએ આવી દરવાજો તોડીને જોતા તરુણીને લટકતી જોઇ હતી. બનાવને પગલે 108ની ટીમે પહોંચી તબીબે મૃત જાહેર કરતા એરપોર્ટ પોલીસે તરુણીના મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ કરતા હિરલના માતાપિતા રામપર બેટી ગામે ભરડિયામાં મજૂરીકામ કરતાં હોવાનું જણાવતા આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.