રાજકોટના સોની વેપારી સાથે દિલ્હીના શખ્સે 39.24 લાખની ઠગાઇ કરતા પોલીસે આરોપીઓને પકડવા કાર્યવાહી કરી છે. એસ્ટ્રોન સોસાયટીમાં રહેતા અને પેડક રોડ પર શિવ એન્ટરપ્રાઇઝ નામે સોના-ચાંદીના દાગીના બનાવી વેચાણ કરતા મહેશભાઇ હરજીભાઇ ગરસોંદિયાએ એપીએસ સિક્યોર લોજિસ્ટિક કંપની દિલ્હીના મેનેજર અશોક ત્યાગી સામે ફરિયાદ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા 17 વર્ષથી દાગીના બનાવી વેચવાનો ધંધો કરતા હોય અને પાંચેક વર્ષ પહેલાં સંત કબીર રોડ પર ગઢિયાનગરમાં આવેલા ઉદય કાર્ગો નામે કુરિયરના સંચાલક ઉદયભાઇ તેની ઓફિસે આવ્યા હતા અને પાર્સલ મોકલવા માટેની વાતચીત કરી હતી. બાદમાં તેની કંપનીમાં સોનાના દાગીનાના પાર્સલ પટના, મુજફ્ફરપુર (બિહાર) મોકલતા હતા બાદમાં છેલ્લા અઢી વર્ષથી તેને કંપની બંધ કરી દીધી હતી.
દરમિયાન દોઢેક વર્ષ પહેલાં ઉદયભાઇ અને તેની સાથે અશોકભાઇ ત્યાગીને લઇને તેની ઓફિસે આવ્યા હતા અને ઉદયભાઇએ તેની ઉદય કાર્ગો બંધ કરી દીધા બાદ હાલ તે એપીએસ સિક્યોર લોજિસ્ટિકની બ્રાંચ પટના ખાતે તે સંભાળતા હોવાનું અને રાજકોટમાં રણછોડનગરમાં હોય અને અશોકભાઇ ત્યાગી તે સંભાળતા હોય અને દિલ્હી ઓફિસે બેસી અન્ય બ્રાંચ પણ સંભાળતા હોવાનું જણાવી પરિચય કરાવ્યો હતો. બાદમાં તમારા પાર્સલ અમારી કંપનીમાં મોકલજો તે સારી કંપની હોવાનું અને કોઇ વાંધો નહીં આવે તેમ વાત કરી હતી.