હવામાન વિભાગની સ્થાપના 15 જાન્યુઆરી 1875માં થઈ હતી જેની ઉજવણી આખા દેશમાં કરવામાં આવી છે પણ આ વિભાગની સ્થાપના બાદ તુરંત જ જ્યાં જ્યાં શાખા શરૂ કરવામાં આવી તેમાં રાજકોટનો ક્રમ આવે છે. રાજકોટ શહેરમાં કચેરીની સ્થાપના 18 જૂન 1877 એટલે કે વિભાગની સ્થાપનાના માત્ર 2 વર્ષમાં થઈ હતી.
હવામાન વિભાગના 150 વર્ષ પૂર્ણ થતા દિલ્હીમાં વિશેષ કાર્યક્રમ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક કચેરીએ લાઈવ થઈને અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટ હવામાન કચેરી હાલ બે ભાગમાં છે જેમાં એક જૂના એરપોર્ટ અને એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છે. જગત ત્રિવેદી મોસમ વિજ્ઞાનિક બી, મયૂરસિંહ વાળા મોસમ વિજ્ઞાનિક બી, એમ.એમ. વોરા મોસમ વિજ્ઞાનિક એ સહિત સૌરભ મીન, પુષ્પેન્દ્ર રાઠી, હરિંદરસિંહ રાઠોડ, સુબોધ પાલ, અરવિંદ કુમાર, મનદીપ શર્મા, રામાણીભાઈ અને મહેશ મુલિયાણા સહિતનો સ્ટાફ અહીં ફરજ બજાવે છે. આ તમામના નામ મોટા ભાગના લોકોએ સાંભળ્યા નહિ હોય કારણ કે હંમેશા આ કચેરીએ પડદા પાછળ જ ફરજ નિભાવી છે. કોઇપણ મોટી આપદા હોય કે પછી ખેડૂતો માટે સારું વર્ષ થવાનું હોય તે માટે એનાલિસિસ કરીને તેઓ તંત્રને તમામ માહિતી પૂરી પાડે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, હવામાન વિભાગની સ્થાપનાના માત્ર બે જ વર્ષમાં રાજકોટમાં કચેરી શરૂ થઈ હતી તેથી તેને પણ 148 વર્ષ પૂર્ણ થયા છે.