સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PhD એડમિશનમાં GSETના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે, મનોવિજ્ઞાન ભવનમાં ચાલતા PGDCC (પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઈન ક્લિનિકલ સાયકોલોજી)ના 100 જેટલા વિદ્યાર્થીઓને 2 વર્ષથી ડિગ્રી મળી નથી તો ડિગ્રી આપવામા આવે, ખેલકૂદના મેદાનો ખાનગી લોકોને ભાડે આપી દેવામાં આવ્યા છે, બહેનો માટે ખૂબ જ જરૂરી કરાટેની રમત 2 કોચ વચ્ચેની માથાકૂટના કારણે બંધ થઈ ચૂકી છે. જ્યારે BCA સેમેસ્ટર- 4ના પેપર લીક મામલે કોઈ જ કાર્યવાહી થઈ નથી. અગાઉના બીકોમ અને બીબીએ સેમેસ્ટર- 5ના બબ્બે પેપર લીકમાં પોલીસ ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી થઈ નથી. આ સહિતનાં મુદ્દે આજે ABVPના વિદ્યાર્થી કાર્યકરોએ આંખે કાળીપટ્ટી બાંધી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે કુલસચિવ ડૉ. રમેશ પરમારે PhD એડમિશનનો નિર્ણય બુધવારે આવશે, PGDCCના વિદ્યાર્થીઓને હવેના પદવીદાનમાં ડિગ્રી આપવાની સાથે BCA સેમેસ્ટર 4 પેપર લીકમાં 2 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદની જાહેરાત કરી હતી.
સત્તાધીશોની આંખો ખોલવા અમે પાટા બાંધ્યા છેઃ કાર્યકર ABVPના ધરમ સોઢીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Phd એડમિશનમાં NET ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. ખાલી રહેલી સીટ ઉપર GSETના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામા આવે તેવી માગ સાથેની લેખિત રજૂઆત ગત 22 ઓક્ટોબરના કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો આંખે પાટા બાંધી બેસી ગયા હોવાથી આજે તેમનાં આંખના પાટા ખોલવા માટે અમે આંખે કાળીપટ્ટી પહેરી છે અને કાળીપટ્ટી બાંધી રચનાત્મક આંદોલન કરવામાં આવ્યું છે.