રાજકોટ શહેરના તિરૂપતિ બાલાજી પાર્કમાં રહી પોલીસ ભરતીની તૈયારી કરતી 30 વર્ષીય યુવતીને માતા-પિતાએ ફોનમાં લગ્ન કરવા માટે વાત કરતાં જ યુવતીની સહનશીલતા તૂટી જવા પામી હતી અને ગળેફાંસો ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના અકાળે મૃત્યુથી ઉના રહેતા પરીવારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસે આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલમાં ખસેડ્યો રાજકોટ શહેરમાં તિરૂપતિ બાલાજી પાર્ક શેરી નં.01 માં રહેતી મૂળ ઉનાની વતની રેણુકાબેન કરશનભાઇ પરમાર (ઉ.વ.30) ગઈકાલે બપોરે ઘરે હતી ત્યારે રૂમમાં પંખાના હુકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. થોડાં સમય બાદ તેમના બહેન અને બનેવીએ રૂમ ખોલી તપાસ કરતાં યુવતી લટકેલી હાલતમાં જોવા મળતાં આક્રંદ મચાવ્યો હતો. આ બનાવ અંગે 108ને જાણ કરતાં 108ની ટીમે યુવતીને તપાસી મૃત જાહેર કરી હતી અને આ બનાવ અંગેની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટાફ આવી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.