રાજકોટના જીવરાજ પાર્કમાં સાનિધ્ય રેસીડેન્સી સામેની ખુલ્લી જગ્યામાં બિલ્ડરો અને તેના કોન્ટ્રાકટરો દ્વારા ગંદકી ફેલાવાતી હોવાની ફરિયાદ સાથે આ વિસ્તારના રહીશોએ આજે કલેકટર કચેરીમાં ઉમટી પડી આ મામલે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.સાનિધ્ય રેસીડેન્સીના ફલેટ ધારકોએ જણાવ્યું હતું કે, સાનિધ્ય 254 ના રેસીડેન્સીયલ પ્રોજેક્ટમાં સર્વે ફ્લેટ ધારક રહેણાંક ધરાવે છે ટોટલ 3 વિંગ છે તેમાં 130 ફ્લેટ ધારકો રહે છે. જોકે બાજુના સરકારી ખરાબાની જગ્યામાં બિલ્ડરો દ્વારા ગંદકી ફેલાવવામાં આવે છે.
રહીશોએ રજુઆતમાં જણાવ્યું હતુ કે, અમારા રહેણાંક બિલ્ડીંગની સામે અને જમણી બાજુમાં ઓરબીટ ગાર્ડન નામના પ્રોજેક્ટનુ કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે. તેમના કોન્ટ્રાક્ટરના માણસો અમારી સામેની ખુલ્લી જગ્યામાં ગંદકી ફેલાવે છે બહુ બધો કચરો ફેંકે છે તેમજ ખુલ્લામાં શૌચક્રિયા તેમજ બાથરૂમ કરે છે. અમે જે તે સમયે કોર્પોરેશનને પણ જાણ કરેલ કોર્પોરેશન દ્વારા અમને કહ્યું કે તે જગ્યા કલેકટર હસ્તકમાં આવે છે. જેથી તમે ત્યાં જ રજૂઆત કરી શકશો.