રૂડા અને મનપાના નીતિ નિયમો નેવે મૂકી રહેણાક માટે મંજૂર કરાયેલા બિલ્ડિંગમાં કોમર્સિયલ બાંધકામ ખડકી દેનાર બાકિર ગાંધીના માધાપર ચોકડીએ આવેલા નેક્સસ બિલ્ડિંગનો રિવાઇઝ પ્લાન પાસ કરાવવા બે વર્ષ પહેલાં મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં અરજી કરી હતી, પરંતુ હજુ સુધી તે પ્લાન પાસ કરવો કે નામંજૂર કરવો તે અંગેનો નિર્ણય લેવાયો નથી.
શહેરના માધાપર ચોકડીએ બાકિર ગાંધી દ્વારા નેક્સસ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું અને તેમાં પહેલા રૂડામાં રહેણાક પ્લાન મુકાયા બાદ ધીમેધીમે તેમાં અલગ-અલગ રિવાઇઝ પ્લાન મૂકી કોમર્સિયલ બિલ્ડિંગ ખડકી દેવામાં આવ્યું હતું. નેક્સસ બિલ્ડિંગમાં સ્ટેટ હાઇવેના નિયમો, રૂડાના નિયમો અને મનપાના નિયમોનો ઉલાળિયો કરી બાંધકામ કરી દેવામાં આવ્યાના દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યા બાદ હજુ સુધી મહાનગરપાલિકાના ટીપીઓ અને અન્ય જવાબદાર અધિકારીઓએ તેમની સામે કોઇ કાર્યવાહી ન કરી હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. તેમજ આટલું ઓછું હોય કોઇપણ બિલ્ડિંગના રિવાઇઝ પ્લાન 1 માસ જેટલા સમયમાં મંજૂર કરી દેવાનો હોય છે ત્યારે મનપા ક્યા કારણોસર નિર્ણય લેતી નથી તે મોટો સવાલ છે.