રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા અને જૂનાગઢ પીઆઇ સંજય પાદરીયા વચ્ચે થયેલ માથાકૂટ મામલે પીઆઇ સંજય પાદરીયા દ્વારા તપાસનીશ અધિકારી બી. જે. ચૌધરીને સંબોઘીને એક અરજી કરવામાં આવી છે, જેમાં સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી છે. આ સાથે જ પોતાની વિરુદ્ધ BNSની કલમ 109 મુજબ પ્રથમ દ્રષ્ટિએ તત્વો પૂરવાર થતા નથી અને સરધારાને પહોંચેલી ઈજા મામલે ડોક્ટરનો અભિપ્રાય લેવામાં આવે તો તેમને સામાન્ય ઇજા પહોંચી છે. સરધારાને ગંભીર ઈજા પહોંચેલ નથી એવું સ્પષ્ટપણે રેકોર્ડ ઉપર આવી શકે તેમ છે. આ સાથે શ્યામ પાર્ટી પ્લોટ ખાતે કુલ 64 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવેલા છે, જે તમામ તપાસવા જરૂરી છે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હથિયારી પોલીસ ઈન્સપેકટર તરીકે જૂનાગઢ જીલ્લાના ચોકી પોલીસ ટ્રેનીંગ સેન્ટરમાં ફરજ બજાવતા સંજય પાદરીયાએ તપાસનીશ અધિકારીને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, અમે તા.25.11.2024ના રોજ હું રમેશભાઈ ગીરધરભાઈ ખુંટના પુત્રના લગ્નમાં કણકોટ રોડ ઉપર આવેલ શ્યામ પાર્ટી પ્લોટમાં લગ્નમાં ગયા હતા ત્યારે અમે રાત્રીના સમય 8.15થી 8.30 વચ્ચે પહોંચેલ હતા. અહીં જયંતીભાઈ સરધારા હાજર હતા ત્યાં અમારે સામાન્ય બોલાચાલી થયેલ હતી. ત્યારબાદ હું ફંકશન મૂકીને બહાર ચાલ્યો ગયો હતો અને બહારના ભાગમાં જયંતિભાઈ સરધારા મળ્યા હતા. અહીં સામાન્ય ઝપાઝપી થઈ હતી. તે સિવાય કોઈ બનાવ બનવા પામેલ નથી તેમ છતાં તેઓએ મારા વિરૂધ્ધ હથિયારના કુંદા મારી જાનથી મારી નાખવાની તથા ખૂનની ધમકી આપવાની વગેરે બાબતોની ખોટી અને ઉપજાવી કાઢેલ ફરીયાદ આપેલી છે.