ભવનાથ મંદિરના મહંત બનવા હરિગીરીએ ભાજપને 5 કરોડ આપ્યાનો ધડાકો

ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત મોટા પીરબાવા તનસુખગીરીજીના દેહવિલયને પગલે મહંતપદ માટે શરૂ થયેલી ખેંચતાણમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ ગુરુવારે જૂના અખાડાનો એક લેટર બોંબ ફોડ્યો હતો. આ લેટર બોંબમાં વર્ષો પહેલાં અખાડા પરિષદના સેક્રેટરી હરિગીરીએ કેવી રીતે ભવનાથ મંદિર હડપ કર્યું એની વિગતો જારી કરતા પત્રની ખરી નકલ પત્રકારો સમક્ષ રજૂ કર્યો હતો.

આ પત્ર એવા મતલબનો છે કે, હરિગીરીએ ભવનાથ મંદિરના મહંત તરીકે પોતાની કાયમી ધોરણે જૂનાગઢના કલેક્ટર દ્વારા નિમણૂંક થાય એ માટે જુદા જુદા 11 મહાનુભાવોને રૂપિયા આપ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢના 2 કલેક્ટરો તેમજ ભવનાથના સંતોનો સમાવેશ થાય છે. આ પત્રની સામે મહેશગીરીએ હરિગીરીને જાહેરમાં એવો સવાલ કર્યો હતો કે, આ પત્ર શું છે એ સ્પષ્ટ કરો. આ પત્ર તમે અખાડામાં દેખાડીને પૈસા ઉપાડ્યા છે કે, ભવનાથ મંદિરના મહંત બનવા માટે રૂપિયા આપ્યાની સાબિતી ઉભી કરે છે, એનો જવાબ આપો. પત્ર જૂના અખાડાના લેટર પેડ પર લખાયો છે, જેમાં નીચે અખિલ ભારતીય અખાડા પરિષદના સેક્રેટરી તરીકે હરિગીરીની સહી અને અખાડાનો ગોળ સીક્કો છે. આ અંગે હરિગીરીની પ્રતિક્રિયા મેળવવા માટે વારંવાર પ્રયત્ન કરવા છતાં તેઓએ સંપર્કવિહોણા રહેવાનું જ પસંદ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *