રાજકોટના સોની વેપારી અશ્વિનભાઇએ લીંબડીમાં કરેલા આપઘાતમાં ચાર શખ્સ સામે લીંબડી પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ ગુનાના એક આરોપીને પકડાવવા માટે પોલીસને લઇને ત્યાં પહોંચ્યા ત્યારે મૃતકના પરિવારજનો અને આરોપીના પરિવારજનો વચ્ચે હાથોહાથની જામી પડી હતી.
શ્રમજીવી સોસાયટીમાં રહેતા તેજસભાઇ વિનોદરાય આડેસરા (ઉ.વ.41)એ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેશ ભરત પારેખ, સુજલ ધર્મેશ પારેખ, આર્યન ધર્મેશ પારેખ, ધર્મેશનો ભાણેજ, ધર્મેશના બહેન અને ધર્મેશના બનેવીના નામ આપ્યા હતા. તેજસભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અશ્વિનભાઇ આડેસરાએ કરેલા આપઘાતમાં ધર્મેશ પારેખ, અતુલ ભરત પારેખ, વિવેક વિનુ ભૂવા અને મનોજ પ્રહલાદ રાજપરા સામે ગુનો નોંધાયો હતો. આ ચાર પૈકીનો એક આરોપી અતુલ પારેખ તેના ઘર પાસે હોવાની માહિતી મળતાં તેજસભાઇ અને તેના પરિવારના સભ્યો પોલીસને લઇને પ્રહલાદ પ્લોટમાં પહોંચ્યા હતા.
જ્યાં ઉપરોક્ત તમામ આરોપીઓએ એક સંપ કરી હુમલો કર્યો હતો. પોલીસની હાજરી હોય આરોપીઓએ હુમલો કરતા પોલીસની વધુ ટીમ બોલાવવામાં આવી હતી. સામાપક્ષે દર્શનાબેન ધર્મેશભાઇ પારેખે (ઉ.વ.40) વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે હિરને અશ્વિન આડેસરા, તેજસ વિનોદરાય આડેસરા, જયશ્રી તુષાર રાણપરા, તુષાર રાણપરા, તુષારના બે પુત્ર અને બે અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા.