ટી-20 વર્લ્ડ કપ પછી BCCI દ્વારા ભારતની મહિલા ટીમ માટે વધુ બે ટીમો સાથે શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડિસેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે અને નવા વર્ષના પ્રારંભે જાન્યુઆરી 2025માં આયર્લેન્ડ સામે વનડે મેચની શ્રેણી રમશે જે તમામ 3 મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે અને જેને લઇ રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, એક દાયકા કરતા વધુ સમયથી કાર્યરત આ સ્ટેડિયમમાં પ્રથમ વખત વિમેન્સ ટિમ ક્રિકેટ રમશે અને તેમાં ઇન્ડિયા તેમજ આયર્લેન્ડ ટીમની મહિલા ખેલાડીઓ રાજકોટની મહેમાન બનશે. જયારે આ અગાઉ ભારતે ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ન્યુઝીલેન્ડ સામે 3 વનડે સીરીઝ 2-1થી જીતી હતી, જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી.
રાજકોટ સહીત સૌરાષ્ટ્રના ક્રિકેટ રસીકો માટે નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં આનંદો છવાશે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત વિમેન્સ ટીમ મહેમાન બની ક્રિકેટ મેચ રમશે અને મહિલા ખેલાડીઓ ચોગ્ગા-છગ્ગાના વરસાદ સાથે પ્રેક્ષકોને ખુશ કરી દેશે. આગામી 10, 12 અને 15 જાન્યુઆરી 2025ના રોજ ભારતીય મહિલા ટીમ આર્યલેન્ડ મહિલા ટીમ સાથે ત્રણ વનડે મેચની સિરીઝ રમશે. જે મેચની શરૂઆત સવારે 11 વાગ્યાથી થશે.