શહેરના ઉપલાકાંઠા વિસ્તારના ચાંદીના દાગીનાના વેપારી પાસેથી જાંગડમાં રૂ.4 લાખના ચાંદીના દાગીના વેચવા માટે લઇ ગયા બાદ વાણિયાવાડીના શખ્સે દાગીના પરત નહીં કરી તેમજ નાણાં નહીં ચૂકવી ઠગાઇ કરી હતી. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
યુનિવર્સિટી રોડ પરના શારદાનગરમાં રહેતા અને પેડક રોડ પર સત્યમ ઓર્નામેન્ટ નામની પેઢી ધરાવતાં જીજ્ઞેશભાઇ મનસુખભાઇ સોઢા (ઉ.વ.52)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં વાણિયાવાડીના પવન એપાર્ટમેન્ટમાં રહેતા મિલન મુકેશ શેઠનું નામ આપ્યું હતું. જીજ્ઞેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે હોલસેલમાં ચાંદીના દાગીનાનું વેચાણ કરે છે. પાંચેક વર્ષ પહેલાં સંબંધી મારફત મિલન શેઠે વેપારી જીજ્ઞેશભાઇનો સંપર્ક કર્યો હતો અને પોતે પણ ચાંદીના દાગીનાનું વેચાણ કરતો હોવાનું કહી હોલસેલમાં દાગીના આપો તો તેનું વેચાણ કરી નાણાં ચૂકવી દઇશ તેવી વાત કરી હતી. ચારેક વખત મિલન શેઠે દાગીના લઇ જઇ અને નાણાં ચૂકવી વિશ્વાસ જીત્યો હતો.