રાજકોટની જી.ટી. શેઠ સરકારી આંખની હોસ્પિટલ આંખના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં 61 હજારથી વધુ દર્દીઓની તપાસણી કરવામાં આવેલી છે અને આંખના દાતાઓથી 267 દિવ્યાંગોને દૃષ્ટિ મળી છે. આ હોસ્પિટલ દ્વારા 25 મી ઓગસ્ટથી નેત્રદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના દ્વારા લોકોમાં નેત્રદાન માટે જાગૃતિ માટેના જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
આ અંગે સિનિયર ડો. હરેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, નેત્રદાન પખવાડિયાની ઉજવણી જુદીજુદી રીતે કરવામાં આવી રહી છે.જેમાં વર્કશોપ, નેત્રદાન ડ્રાઈવ, નેત્રદાનના મહત્વ વિશે લોકોને સમજાવી જરૂરિયાતમંદોને દૃષ્ટિ પુનઃસ્થાપિત કરવી, સેમિનાર દ્વારા લોકોને જોડી માહિતીપ્રદ સામગ્રીનું વિતરણ, નેત્રદાનની પ્રક્રિયા અને ફાયદાઓ પર સત્રો તથા ખાસ દરેક નાગરિકે આંખના દાતા બની મૃત્યુ બાદ પણ સમાજને ઉપયોગી બનવું જોઈએ તેવો મેસેજ અમે નાગરિકોને આપી રહ્યા છીએ.