રાજકોટમાં રોગચાળો અટકાવવા 700 આરોગ્ય ટીમો મેદાને

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ રાજકોટના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય તેમજ રોગચાળો ન ફેલાય તે માટે આજથી આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં 700 આરોગ્ય ટીમો દ્વારા રાજકોટ જિલ્લાની રોજની 3.5 લાખ લોકોનું આરોગ્ય સર્વેલન્સ, જાહેર આરોગ્યની જાળવણી સબબ કલોરિનેશન કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ સઘન ઝુંબેશમાં 5 દિવસમાં સમગ્ર રાજકોટ જિલ્લાની 15 લાખથી વધુની જનતાને આવરી લેવામાં આવશે. જેમાં આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે આરોગ્ય સર્વેલન્સ સાથે મચ્છરોના નિયંત્રણ માટે પાણી ભરાયેલ ખાબોચિયાં વગેરેમાં એબેટ નાખવાની કામગીરી, ડસ્ટિંગ તેમજ ઘરે-ઘરે ક્લોરીન ટેબલેટ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં થયેલ અતિવૃષ્ટિ બાદ પાણી ઓસરતા તુરંત જ જાહેર આરોગ્યની સુખાકારી માટે આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *